રાવળિયાવદરની
સરકારી માધ્યમિક શાળામાં ૨૧ જૂનના
રોજ 4થા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું આયોજન
કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની
પૂર્વ તૈયારી રૂપે શાળાના શિક્ષકશ્રી જયેશભાઈ પઢારીયા દ્વારા તા.૧૯-૦૬-૨૦૧૯ થી તા.૨૦-૦૬-૨૦૧૯
એમ કુલ બે દિવસ સુધી સૌ વિદ્યાર્થીઓને યોગ, આસનો
અને પ્રાણાયામ વિશેની પૂર્વતાલીમ આપેલ અને સૌને યોગના જ્ઞાનથી વાકેફ કરેલ. યોગ
દિવસના અભ્યાસક્રમ મુજબ શારીરિક સૂક્ષ્મ ક્રિયાઓ,તાડાસન,
વૃક્ષાસન, તિકોણાસન,
વજ્રાસન,ઉષ્ટ્રાસન વગેરે જેવા
૨૦ આસનો અને કપાલભાતિ,
અનુલોમ-વિલોમ તથા ભ્રામરી જેવા
પ્રાણાયામ દ્વારા સમગ્ર શાળાનું વાતાવરણ યોગમય બનાવવામાં આવેલ. દરેક
મનુષ્યનું મન સંતુલિત રહે અને પ્રત્યેક જન સ્વસ્થ, શાંત,
આનંદી અને પ્રિય બનવાનો પ્રયત્ન કરે તે
માટે પોતાના સ્વાસ્થ્ય તેમજ શાંતિ માટે સંકલ્પ લેવામાં આવ્યા તથા અંતમાં શાંતિ પાઠ
પાઠ કરવામાં આવ્યો. કાર્યક્રમના
અંતે શાળાના આચાર્યશ્રી વિઠ્ઠલભાઈ વી. કુરિયા
દ્વારા 'યોગ એ માત્ર શારીરિક
કસરત નથી પણ આપની જીવનશૈલી સાથે જોડાયેલો છે' – આ વિષય પર ભાર મૂકીને યોગ દ્વારા રોગ નિવારણ પર પોતાનું
ઉદબોધન આપેલ. યોગવિદ્યાની
ભૂમિ એવા ભારતમાં આ દિવસે વિરાટ અને વિસ્તૃત કાર્યક્રમમાં સહભાગી થવાના આનંદ સાથે
સૌ લોકો છૂટા પડ્યા.
* * *
* *