રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળામાં શૈક્ષણિક પ્રવાસ-૨૦૨૫ અંતર્ગત વાલી મિટિંગનું આયોજન....

​રાવળિયાવદર સરકારી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આગામી શૈક્ષણિક પ્રવાસના સુચારુ આયોજનના ભાગરૂપે ગત ૪ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય શ્રી ડૉ. કલ્યાણજી ડાભીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં પ્રવાસ અંગેની રૂપરેખા અને સરકારશ્રીની માર્ગદર્શિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ​શાળા દ્વારા આગામી ૧૭ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન રાજસ્થાનના જેસલમેર ખાતે શૈક્ષણિક પ્રવાસ યોજાનાર છે. અભ્યાસિક પ્રવૃત્તિ સંયોજક શ્રી જયેશભાઈ પઢારિયા અને શ્રી અંકિતભાઈ પંચોલીના આયોજન હેઠળ હળવદની ઉમાવંશી ટ્રાવેલ્સ દ્વારા આ પ્રવાસ નિર્ધારિત કરાયો છે. આ પ્રવાસમાં ધોરણ ૯ થી ૧૨ના કુલ ૮૫ વિદ્યાર્થીઓ અને ૧૨ શિક્ષક સ્ટાફ મિત્રો જોડાશે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ જેસલમેર ફોર્ટ, ગડીસર લેક, કુલધરા, તનોટ માતા મંદિર, લોંગેવાલા વોર મ્યુઝિયમ, ભારત-પાકિસ્તાન બોર્ડર, સેમ સેન્ડ ડ્યુન્સ (સફારી, કલ્ચરલ પ્રોગ્રામ અને ટેન્ટ સ્ટે), પોખરણ ફોર્ટ અને રામદેવરા જેવા ઐતિહાસિક અને ભૌગોલિક સ્થળોની મુલાકાત લેશે. ​મિટિંગમાં આચાર્યશ્રીએ વાલીઓને પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સલામતી, ભોજન અને રહેવાની વ્યવસ્થા વિશે માહિતગાર કર્યા હતા. પ્રવાસના સફળ સંચાલન માટે ખાસ પ્રવાસ સમિતિની રચના કરવામાં આવી હતી અને કન્વીનરની નિયુક્તિ કરી બંને બસ માટે શિક્ષકોને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. વાલીઓએ શાળાના આ સુવ્યવસ્થિત આયોજન પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
Previous Post Next Post